કર્મો તો જગમાં સહુને લાવ્યાં, કોઈ મરજીથી તો આવ્યું નથી
ચાહ્યું નથી કોઈએ જગમાંથી જવાને, કાયમ તો કોઈ રહી શક્યું નથી
સુખ ચાહ્યું છે સહુએ જગમાં, ઇચ્છા પૂરી કોઈની એ તો થઈ નથી
ઊજળા સંજોગો તો સહુએ ચાહ્યા, નસીબદારના નસીબમાં પણ એ નસીબ નથી
ચડતી-પડતી તો જગમાં સહુની દેખાય, ખુદની ગણતરી એમાં કરી નથી
તેજનો સ્વીકાર તો જલદી થાયે, અંધકારને ગળે કોઈ લગાડતું નથી
ગુણોની અપેક્ષા બીજામાં જાગે, કોઈએ ગુણવાન તો થાવું નથી
જોઈએ છે સહુને સહુ કાંઈ, પાત્રતા કોઈએ તો કેળવવી નથી
જોઈએ છે સગવડ તો સહુને, બીજાની અગવડની તો પડી નથી
પૂજાવું છે સહુ કોઈએ તો જગમાં, પ્રભુને યથાર્થ તો પૂજવા નથી
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)