બોલાવું હું કોને ને ક્યાં, મારે રે ઘરે, મારા ઘરની, મને જ્યાં ખબર નથી
બદલ્યા મેં કંઈક નામ ને ઠેકાણાં, મને મારા નામ ને ધામની જ્યાં ખબર નથી
બદલાયા કંઈક, સગાં ને વહાલા, કોઈ, મને હવે તો યાદ રહ્યાં નથી
પડતાં વિખૂટા, પાડયા કંઈકે ને મેં આંસુડા, ગોત્યા હવે તો એ જડતા નથી
રચ્યાં હતાં કંઈક ઝૂંપડી ને મહેલો, પત્તા હવે તો એના રે મળતાં નથી
ભોગવી હતી કંઈક, સુખદુઃખની રે વણઝાર, હવે મને એ તો યાદ નથી
આવન-જાવન મારી, અટકી ના જગમાં, લાવ્યા ના સાથે, કંઈ લઈ જાવાના નથી
રહીશું એક જીવનમાં દિન કેટલા સ્થાનમાં, એની તો કાંઈ મને ખબર નથી
નથી કાયમના તો કોઈ રહેવાના, રહેવાનો કેટલો જગમાં મને ખબર નથી
રહ્યાં હતા ત્યારે ને આજે, પ્રભુ તો સાથે, સાચા યાદ એને કદી કર્યા નથી
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)